સયાજી હોસ્પિટલમાં 24 કરોડના ખર્ચે તૈયાર `વિશ્રામ સદન'નું કેન્દ્રીય મંત્રીએ વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું

6 માળની આ બિલ્ડિંગમાં 235 લોકો રહી શકે એવા 55 રૂમ બનાવવામાં આવ્યાં

MailVadodara.com - The-Union-Minister-virtually-launched-the-Vishram-Sadan-prepared-at-a-cost-of-24-crores-at-Sayaji-Hospital

- આજથી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સંબંધીઓ માટે નવી સુવિધાનો પ્રારંભ, વિશ્રામ સદનમાં રહેવા માટે કોઈ મર્યાદા કે શરતો નથી


મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના પરિવારજનો માટે રહેવાની પડતી મુશ્કેલીનો આજથી અંત આવશે. પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા સીએસઆર ફંડ હેઠળ રૂપિયા 24 કરોડના ખર્ચે બનાવી આપવામાં આવેલ "વિશ્રામ સદન" આજે કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે સિંગ દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં ઉત્તર-પશ્ચિમ ગુજરાત, મધ્ય ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દીવ-દમણમાંથી દરરોજ 5 હજારથી વધારે દર્દીઓ સારવાર માટે આવે છે. દર્દીઓના પરિવારજનો માટે રહેવા-જમવા માટે આમ તો અહીં ઈન્દુમતી ઠાકોરભાઈ પટેલ વિશ્રામ ગૃહ તો છે જ. પરંતુ, આજથી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ અને તેના સંબંધીઓ માટે એક નવી સુવિધાનો પ્રારંભ થયો છે. અંદાજિત 24 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવનિર્મિત "વિશ્રામ સદન"નું આજે કેન્દ્રીય ઉર્જા મંત્રી આર. કે. સિંગે વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા.


સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના પરિવારજનો રહી શકે એ માટે પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા સીએસઆર હેઠળ અંદાજિત રૂપિયા 24 કરોડના ખર્ચે તમામ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં સૌથી મોટું "વિશ્રામ સદન" બનાવવામાં આવ્યું છે. 6 માળનાં આ બિલ્ડિંગમાં 235 લોકો રહી શકે એવા 55 રૂમ બનાવવામાં આવ્યા છે. દરેક ફ્લોર પર એક VIP રૂમ પણ બનાવાવમાં આવ્યો છે. જ્યારે બાકીના રૂમ ડોરમેટ્રી કેટેગરીના છે. જેનો લાભ આજથી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેઓના સગાઓને મળતો થઈ ગયો છે. 4200થી વધારે સ્ક્વેર મીટર જગ્યામાં તૈયાર થયેલા આ "વિશ્રામ સદન"ના ઓપરેશન અને મેઇન્ટેનન્સ માટે દીપક ફાઉન્ડેશન સાથે MOU કરવામાં આવ્યા છે. બિલ્ડિંગના પ્રથમ માળે 66 માણસો જમી શકે તેવો સરસ ડાઈનિંગ હોલ છે. દરેક ફ્લોર પર 1 VIP રૂમ છે, જેમાં બે બેડ સાથે સોફા પણ છે. જ્યારે ડોરમેટ્રી કેટેગરીની એક રૂમમાં 4 બેડ છે, જેમાં લોકર, કબાટ તેમજ બાલ્કની સહિતની સુવિધા પણ છે. પ્રત્યેક માળમાં સ્ત્રી-પુરૂષ ઉપરાંત દિવ્યાંગો માટે પણ અલગ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. શુદ્ધ પાણી માટે આર.ઓ. સાથે વોટર કૂલર, લોકર, લોન્ડ્રી, રિસેપ્શન સેન્ટર, અદ્યતન ફાયર સેફ્ટી, લિફ્ટ, જનરેટર, સર્વિસ કાઉન્ટર, હેલ્પ ડેસ્ક, 24 કલાક સુરક્ષા માટે કેબિન તેમજ દરેક માળ પર ડિજિટલ સાઈન બોર્ડ સહિતની અનેક સુવિધાઓથી વિશ્રામ સદન સજ્જ છે.


સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે, આ "વિશ્રામ સદન" દર્દીઓના સગાઓ માટે આશિર્વાદરૂપ પુરવાર થશે. તેમાં બે મત નથી. રોગી કલ્યાણ સમિતિના નિયમોનુસાર દર્દીઓના સંબંધીઓને રહેવા અને જમવા માટે માત્ર નજીવી કિંમત ચૂકવવાની રહેશે.


ઉલ્લેખનિય બાબત એ છે કે, આ વિશ્રામ સદનમાં રહેવા માટે કોઈ મર્યાદા કે શરતો નથી. આવકની મર્યાદા, વડોદરા શહેરની બહારથી જ આવેલા હોવા જોઈએ તેવી કોઈ પણ પ્રકારની શરતો કે મર્યાદા અહીં નથી. એટલે કે કોઈ પણ વ્યક્તિ કે જે દર્દીના સંબંધી છે, તેઓ અહીં આરામથી કોઈ પણ પ્રકારની અગવડતા અને હેરાનગતિ વગર રહી શકે છે. અને ગુજરાતની કોઇ સરકારી હોસ્પિટલમાં ન બન્યું હોય તેવા હોટલ જેવા જ "વિશ્રામ સદન"માં રહીને પોતાના સ્વજનની કાળજી રાખી શકે છે.

Share :

Leave a Comments