વડોદરામાં મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા પ્રમોશન સહિત પડતર પ્રશ્નોને લઇને આવેદન આપી રજૂઆત

રાજ્યના મહેસુલી કર્મચારીઓ દ્વારા 33 જિલ્લામાં જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું

MailVadodara.com - Revenue-Employees-Federation-in-Vadodara-presents-a-petition-regarding-pending-issues-including-promotion

- આજે કરવામાં આવેલી રજૂઆત બાદ 10 દિવસમાં પ્રશ્નોનુ નિરાકરણ લાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી મહામંડળે ઉચ્ચારી

રાજ્યના મહેસુલી કર્મચારીઓના પ્રમોશન સહિતના પડતર પ્રશ્નોને લઇને આજે કર્મચારી મહામંડળ દ્વારા 33 જિલ્લામાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. આજે કરવામાં આવેલી રજૂઆત બાદ 10 દિવસમાં પ્રશ્નોનુ નિરાકરણ લાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી મહામંડળે ઉચ્ચારી છે.

વડોદરા મહેસુલી કર્મચારી મહામંડળના પ્રમુખ સહદેવસિહ રાઠોડે જણાવ્યું હતું કે, મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા સરકારમાં અવારનવાર કર્મચારીઓના 4 જેટલા પેન્ડિંગ મુદ્દાઓને લઇને રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી બદલીની અરજીઓ પેન્ડિંગ છે. તેવી જ રીતે વર્ષ 2012થી નાયબ મામલતદારોની સિનિયોરિટીની યાદી જાહેર કરવામાં આવે. વર્ષ 2015થી ક્લાર્કોનુ પ્રમોશન અને તાજેતરમાં સંમતી વગર બદલી કરવામાં આવેલા 25 જેટલા કર્મચારીઓને મૂળ જગ્યા ઉપર પરત લાવવાની માંગ છે. જેથી મહામંડળે દરેક જિલ્લામાં આવેદનપત્ર આપ્યું છે.

વડોદરા મહેસુલી કર્મચારી મહામંડળના ઉપ પ્રમુખ ચિરાગ રાણાએ જણાવ્યું હતું કે, વર્ષ 2015માં જોડાયેલા કર્મચારીઓને 10 વર્ષથી ઉપરનો સમય થઇ ગયો છે, છતાં તેમનું પ્રમોશન આપ્યું નથી. વર્ષ 2012માં જોડાયેલા મામલતદારોને 13 વર્ષ બાદ પણ પ્રમોશન આપવામાં આવ્યું નથી. આજે રાજ્યના 33 જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે. વગર માંગણીએ બદલી કરવામાં આવેલા કર્મચારીઓને પરત તેમના સ્થાને મુકવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે.


મહેસુલી કર્મચારીઓએ જિલ્લા કલેકટરને આપેલા આવેદન પત્રમાં જણાવ્યું છે કે, આજે આવેદન આપ્યા બાદ 10 દિવસમાં માંગણીઓનો હકારાત્મક ઉકેલ નહીં આવે તો ગુજરાત મહેસુલી મહામંડળ દ્વારા તમામ જિલ્લાઓમાં કર્મચારીઓ દ્વારા કાળીપટ્ટી ધારણ કરવી, માસ સીએલ અને હડતાલ જેવા વિવિધ કાર્યક્રમો તબક્કાવાર રીતે આપવામાં આવશે.

મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા કરવામાં આવેલી રજૂઆત અંગે જિલ્લા કલેકટર ડો. અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, મહામંડળ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે, તે રજૂઆત સરકારમાં પહોંચાડવામાં આવશે. સરકાર સાથે વાતચીત કરી વહેલીતકે તેમના પ્રશ્નોનું નિવારણ લાવવા માટે પ્રયાસો કરવામાં આવશે.

આજે કલેકટર કચેરી ખાતે ઓફિસ સમય પૂર્વે તમામ મહિલાઓ સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા. પોતાની પડતર માંગણીઓને લઇ કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો. જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યા બાદ તમાંમ કર્મચારીઓ રાબેતા મુજબ ફરજ ઉપર ચઢી ગયા હતા.

Share :

Leave a Comments