પાદરામાં સજાેડે ઝેરી દવા ગટગટાવનારાં પ્રેમી-પંખીડામાં યુવતીનું મોત, યુવકની હાલત ગંભીર

યુવકના પરિવારે લગ્નની મંજૂરી ન આપતાં પ્રેમી-પંખીડાંએ ઝેરી દવા ગટગટાવી હતી

MailVadodara.com - In-Padra-young-girl-died-in-lovers-birds-who-swallowed-poisonous-medicine-young-boys-condition-is-critical

- બન્ને ત્રણ વર્ષથી પ્રેમમાં હતાં, યુવતીનું મોત નીપજતાં પરિવારમાં રોષ

- મારી દીકરીને યુવકે મળવા બોલાવી હતી, જ્યાં છોકરાએ પોતે થોડી દવા પી અને મારી દીકરીને વધારે દવા પીવડાવી દીધી : યુવતીના પિતા


વડોદરાના પાદરા તાલુકામાં પરિવારજનોએ લગ્ન કરવાની મંજૂરી ન આપતાં પ્રેમી-પંખીડાંએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનારાં પ્રેમી-પંખીડાંને અલગ-અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયાં હતાં, જેમાં આજરોજ યુવતીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. યુવતીનું મોત નીપજતાં પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે યુવાને દીકરીને વધુ પ્રમાણમાં ઝેર પીવડાવ્યું હતું અને પોતે ઓછું પીધું છે. અમારી દીકરીના મોત માટે યુવાન જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ચકચારી બનાવ અંગે પાદરા પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, પાદરા તાલુકાના લુણા ગામમાં રહેતા 21 વર્ષીય અમિત ચૌહાણ અને 18 વર્ષની સ્નેહા પઢિયાર વચ્ચે છેલ્લાં બે-ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતો. પ્રેમી અમિત અને સ્નેહા અવારનવાર મળતાં હતાં અને મોબાઇલ ફોન પર પણ પ્રેમાલાપ કરતાં હતાં. પ્રેમના દિવસોમાં બંનેએ એકબીજાને લગ્ન કરવાના કોલ આપ્યા હતા, સાથે સાંસારિક જીવન જીવવાનું નક્કી કર્યું હતું, પરંતુ એ સમયે સ્નેહા સગીર વયની હોવાથી અમિતે પોતાના પરિવારને સ્નેહા સાથે લગ્ન કરવાની વાત મૂકી ન હતી.


આ દરમિયાન સ્નેહા 18 વર્ષની ઉંમર વટાવતાંની સાથે જ તેણે અમિતને લગ્ન કરી લેવા માટે જણાવ્યું હતું. અમિત પણ સ્નેહા સાથે જ લગ્ન કરવા માગતો હતો, આથી તેણે પરિવારને હિંમત એકઠી કરીને કહ્યું હતું તે ગામની સ્નેહાને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માગે છે. અમિતે પરિવાર સમક્ષ ગામની સ્નેહા સાથે લગ્નની વાત મૂકતાં જ પરિવાર રોષે ભરાયો હતો. આ સાથે અમિતને જણાવ્યું હતું કે સ્નેહા આપણી જ્ઞાતિની નથી, આથી તેની સાથે તારું લગ્ન શક્ય નથી. હવે પછી સ્નેહા સાથે લગ્ન કરવાની વાત કરીશ નહીં.

અમિતે પોતાના પરિવાર તરફથી મળેલો જવાબ સ્નેહાને જણાવ્યો હતો. પરિવારે સ્નેહા સાથે લગ્ન કરવાની મંજૂરી ન આપતાં અમિત પણ દુખી થઈ ગયો હતો. તેના માટે સ્નેહા વગર જીવવું મુશ્કેલ હતું. બીજી બાજુ સ્નેહા માટે પણ અમિત વગર જિંદગી જીવવી મુશ્કેલ હતી, આથી બંનેએ નક્કી કરીને ગામની સીમમાં જઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. 


સ્નેહા અને અમિતે ઝેરી દવા પી લીધી હોવાની જાણ પરિવારજનોને થતાં તેઓ ખેતરમાં દોડી ગયા હતા. બેભાન અવસ્થામાં રહેલા સ્નેહા અને અમિતને અલગ-અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા, જેમાં સ્નેહા પઢિયારનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અમિત હાલ સારવાર હેઠળ છે. સ્નેહાનું મોત નીપજતાં પરિવારજનોમાં અમિત સામે રોષ જોવા મળ્યો હતો.


આ અંગે યુવતીના પિતા નરેન્દ્રભાઇ પઢિયારે જણાવ્યું હતું કે, મારી દીકરીને યુવકે લગ્ન કરવાની લાલચ આપીને રાત્રે મળવા બોલાવી હતી, જ્યાં છોકરાએ પોતે થોડી દવા પી અને મારી દીકરીને વધારે દવા પીવડાવી દીધી હતી. અમે તો દીકરીને સોંપવા માટે ત્યાર હતા, પણ યુવકનાં માતા-પિતાએ એ છોકરી અમારા ઘરમાં નથી લાવવી, કહી લગ્ન માટે મનાઈ કરી હતી. મારી દીકરીના મોત મામલે કાયદાકીય ન્યાય જોઈએ.

સ્નેહાનાં પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, અમિતે સ્નેહાને વધારે ઝેર પીવડાવ્યું હતું અને તેણે જાતે ઓછું ઝેર પીધું હતું. સ્નેહાના મોત માટે અમિત જવાબદાર છે અને તેની સામે કડક કાર્યવાહી કરવા માગણી કરી હતી. પાદરા પંથકમાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવ અંગે પાદરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments