રેલવે 37 મીટરની કામગીરી ઝડપથી પૂરી કરે તો અટલાદરાથી માંજલપુરને જાેડતો બ્રિજ શરૂ થાય

વડોદરા પાલિકા એપ્રોચની કામગીરી આગામી જુલાઈ માસ સુધીમાં પૂરી કરી દેશે

MailVadodara.com - If-the-railway-completes-the-work-of-37-meters-quickly-the-bridge-connecting-Manjalpur-from-Atladara-will-be-started

- બ્રોડગેજ લાઈન પર રેલવે વ્યવહાર સતત ચાલુ હોવાથી તેને ધ્યાનમાં રાખીને ટ્રેનોનું સમયપત્ર ગોઠવીને કામગીરી રેલ્વે દ્વારા કરવામાં આવશે

વડોદરા કોર્પોરેશન દ્વારા અટલાદરા અને માંજલપુર રોડલાઇન ઉપર માંજલપુર દરબાર ચોકડીથી અટલાદરા જતા આશરે 37 મીટરની રોડલાઇન પર મુંબઈ-અમદાવાદ બ્રોડગેજ લાઈન ઉપર આશરે 41 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. રેલ્વે વિભાગ દ્વારા બ્રિજના વચ્ચેના ભાગની આશરે 37 મીટરની કામગીરી કરવાની હજી બાકી છે. 

રેલવેના ભાગની કામગીરી માટે રેલ્વે દ્વારા અગાઉ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો પરંતુ પાણીની લાઈન સહિતના કારણોસર ડિઝાઈનમાં ફરી સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારેલી ડિઝાઇન રેલવે વિભાગ દ્વારા મંજૂર થાય ત્યાર પછી કામગીરી શરૂ થશે. આ બ્રોડગેજ લાઈન પર રેલવે વ્યવહાર સતત ચાલુ હોવાથી તેને ધ્યાનમાં રાખીને ટ્રેનોનું સમયપત્ર ગોઠવીને કામગીરી રેલ્વે દ્વારા કરવામાં આવશે. જોકે રેલવે વિભાગ ડિઝાઇનની મંજૂરી મેળવીને તાત્કાલિક કામગીરી શરૂ કરવા માંગે છે. 

બીજી બાજુ કોર્પોરેશન પણ એપ્રોચની કામગીરી આગામી જુલાઈ માસ સુધીમાં પૂરી કરી દેશે, પરંતુ રેલવેના ભાગની કામગીરીથી બે-બે પીલરનું કામ બાકી રાખશે. રેલવેના સ્પાનથી બ્રિજના ઢાળની કામગીરી સળંગ કરવાની હોવાથી આમ કરવામાં આવશે. રાજ્ય સરકાર તથા રેલ્વે વિભાગ દ્વારા 50 -50 ટકા કોસ્ટ શેરિંગથી આ બ્રિજની કામગીરી થઈ રહી છે. 

બ્રિજની લંબાઈ આશરે 797.90 મીટર, પહોળાઈ 16.80 મીટર છે. જેમાં 7.50 મીટરના બે કેરેજ-વેનો સમાવેશ થાય છે. અઢી વર્ષ અગાઉ બ્રિજના કામની કોર્પોરેશનમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. ટેન્ડરમાં કામગીરીની સમય મર્યાદા ચોમાસા સિવાય 18 મહિના રાખવામાં આવી હતી. જો કે આ બ્રિજ માટે જમીન સંપાદનનો પ્રશ્ન પણ કોર્પોરેશન માટે અડચણરૂપ હતો. જમીન સંપાદન ન થતા બ્રિજનું કામ અટકેલું હતું. છ મહિના અગાઉ રોડ લાઈનમાં આવતી જમીનના માલિકો સાથે કોર્પોરેશને બેઠક કરી હતી. જમીનમાં પ્લોટ વેલીડેશન કરી માલિકોને 60 ટકા મુજબ વેલીડેશન કરી આપ્યું હતું તેઓએ 40 ટકા કપાત જગ્યા જાહેર જનતા માટે કોર્પોરેશનને સુપ્રત કરી હતી. જેથી સંપાદનનું વિઘ્ન દૂર થયું હતું. આ બ્રિજ બનતા અને રોડ ખુલ્લો થતાં માંજલપુર તથા શહેર વિસ્તારના રહીશોને અટલાદરા, કલાલી તથા પાદરા તરફ જવા સરળતા રહેશે.

Share :

Leave a Comments