મકરપુરાના જીજી માતાના તળાવમાંથી ગુમ યુવકનો મૃતદેહ મળ્યો, મોત પાછળનું કારણ અકબંધ

મકરપુરા જીઆઇડીસીમાં રહેતો 35 વર્ષીય દિનેશભાઇ ઠાકોર બે દિવસથી ગુમ હતો

MailVadodara.com - Body-of-missing-youth-found-in-Makarpura-GG-Mata-lake-cause-of-death-unknown

- સ્થાનિક લોકોએ બનાવની જાણ પોલીસને કરી, ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યો


શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ જીજી માતાના તળાવમાંથી મકરપુરા GIDCમાં રહેતા એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવાન બે દિવસથી ગુમ હતો. આ દરમિયાન તેનો મૃતદેહ મળી આવતા મકરપુરા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. યુવાને આપઘાત કરી લીધો હોવાના અનુમાન સાથે પોલીસે મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.


મળેલી માહિતી પ્રમાણે, મકરપુરા જીજી માતા તળાવમાં આજે સવારે એક યુવાનનો મૃતદેહ તરી રહ્યો હતો. સ્થાનિક લોકોએ તળાવમાં તરતો મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી. જેથી તુરંત જ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. તળાવમાંથી મૃતદેહ મળ્યો હોવાની વાત વાયુવેગે પ્રસરી જતા લોકોના ટોળેટોળા તળાવ કિનારે ઉમટી પડ્યા હતા.


તળાવમાંથી મૃતદેહ બહાર કાઢ્યા બાદ તેની તપાસ કરતા આ યુવકનું નામ દિનેશ સુરેશભાઇ ઠાકોર (ઉં.વ.35) હોવાનું અને મકરપુરા જી.આઇ.ડી.સી.માં રહેતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ દ્વારા તળાવમાંથી દિનેશનો મૃતદેહ મળી આવ્યાની પરિવારજનોને જાણ કરતા પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃતદેહ દિનેશનો હોવાની ઓળખ આપી હતી.

દરમિયાન પોલીસે દિનેશના મોત અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, દિનેશ ઠાકોર છેલ્લા બે દિવસથી ગુમ હતો. આજે સવારે તેનો મૃતદેહ જીજી માતાના તળાવમાંથી મળી આવતા પોલીસે દિનેશે આપઘાત કરી લીધો હોવાનું અનુમાન લગાવી તપાસ હાથ ધરી છે. જોકે, દિનેશ ક્યાં કારણોસર બે દિવસથી ઘરેથી નીકળી ગયો હતો તે અંગેની કોઇ માહિતી મળી નથી. આ બનાવ અંગે મકરપુરા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments