વડોદરામાં કોરોનાના કેસ વધતા તંત્રમાં દોડધામ, સયાજી-ગોત્રી હોસ્પિટલની મેયરે મુલાકાત લીધી

કોઇપણ પરિસ્થીતીને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ સજ્જ હોવાનો તંત્રનો દાવો

MailVadodara.com - As-Corona-cases-increase-in-Vadodara-Mayor-visits-Sayaji-Gotri-Hospital

- રવિવારે સયાજી હોસ્પિટલમાં કોરોનાના 14 જેટલા પોઝિટીવ કેસ આવ્યા, ગોત્રી સરકારી હોસ્પિટલમાં કોરોનાનો એકપણ કેસ નથી


છેલ્લા કેટલાંક સમયથી કોરોનાએ માથું ઉંચકતા આરોગ્ય વિભાગ એલર્ટ થઇ ગયું છે. જેમાં રવિવારે વડોદરામાં કોરોનાના 14 કેસ પોઝેટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. ત્યારે આજે વડોદરાના મેયરે કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે તંત્રની તૈયારીની સમિક્ષા માટે સયાજી હોસ્પિટલ અને ગોત્રી સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

આજે વડોદરા મહાનગર સેવા સદનના મેયર નિલેશ રાઠોડ, અને આરોગ્ય સમિતીના ચેરમેન ડો. રાજેશ શાહ શહેરની ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલની મુલાકાત લેવા પહોંચ્યા હતા. નોંધનીય છે કે, ગોત્રી સરકારી હોસ્પિટલમાં કોરોનાનો એકપણ કેસ નથી. કોરોના દર્દીઓ માટે 25 જેટલા બેડ અને વેન્ટીલેટર સહિત વ્યવસ્થા કરવામાં આવી છે.


ગોત્રી હોસ્પિટલમાં મુલાકાત લીધા બાદ મેયરનો કાફલો સયાજી હોસ્પિટલમાં મુલાકાત માટે આવી પહોંચ્યો હતો. નોંધનીય છે કે, રવિવારે સયાજી હોસ્પિટલમાં કોરોનાના 14 જેટલા પોઝિટીવ કેસ આવ્યા હતા. જેને પગલે તમામ દર્દીઓની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. હાલ તબીબો દ્વારા જુની ગાઇડ લાઇન મુજબ જ સારવાર આપવામાં આવી રહી છે.


મેયર નિલેશ રાઠોડે જણાવ્યું હતુ કે, હાલ અહીં કોરોનાનો એક પણ દર્દી જોવા મળ્યા નથી. કોરોનાને પહોંચી વળવા માટે તંત્રની પૂર્ણ તૈયારી છે. આવનાર દિવસોમાં કોઇપણ સંભવિત પરિસ્થીતીને પહોંચી વળવા માટે વડોદરાનું આરોગ્ય વિભાગ સજ્જ છે. તે સાથે વડોદરા કોર્પોરેશનના તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં તમામ પ્રકારની તૈયારી કરી લેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી હોસ્પિટલમાં કોરોનાની લગતી તમામ દવાઓ, ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. ચિંતાનો કોઇ વિષય નથી. છતાં લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી વડોદરા સહિત રાજ્યભરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જેને લઇને વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. શરદી, ખાંસી અને તાવના કેસમાં વધારો થયો છે. જ્યારે રાજ્યમાં કોરોનાના કેસ પણ ધીમે ધીમે વધતા જાય છે જેથી તંત્ર પણ કામે લાગ્યું છે. શહેરના લગભગ તમામ વિસ્તારોમાં શરદી, ખાંસીના કેસો જોવા મળી રહ્યા છે.


મળેલી માહિતી પ્રમાણે મોટા ભાગના શરદી, ખાંસીનો ભોગ બનેલા દર્દીઓ સ્થાનિક તબીબો પાસે સારવાર લઇ રહ્યા છે. શરદી, ખાંસીના ચાલી રહેલા વાવરને પગલે ખાનગી ક્લિનીકો અને હોસ્પિટલો ઉભરાઇ રહી છે. કેટલાંક મલ્ટીપલ બિમારીવાળા દર્દીઓમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. જોકે, તેઓ દ્વારા ઘરગથ્થુ પણ ઉપચારો શરૂ કરી દેવામાં આવી છે.

Share :

Leave a Comments